શાને કરે છે વિલાપ કાયારાણી – સંતવાણી ધામ ભજન
શાને કરે છે વિલાપ કાયારાણી,
શાને કરે છે વિલાપ રે,
તારે ને મારે હવે કાંય નથી,
કાયારાણી રે એમ જીવરાજા કહે છે …..
ઘણાં દિવસનો ઘરવાસ આપણે,
ઘણાં દિવસનો ઘરવાસ રે,
મુકી ન જાવ મને એકલી,
જીવરાજા રે એમ કાયારાણી કહે છે…..
મમતા મુકી દે માંયલી,
અંતરથી છોડી દે આશ રે,
રજા નથી મારા રામની,
જીવરાજા રે એમ કાયારાણી કહે છે ……
અઘોર વનની માંય કાયારાણી,
અઘોર વનની માંય રે,
મુકી ન જાવ મને એકલી,
જીવરાજા રે એમ કાયારાણી કહે છે ……
શાને કરો છો વિલાપ જીવરાજા,
શાને કરો છો વિલાપ રે,
ઓચિંતાનાં મુકામ આવીયા,
કાયારાણી એમ જીવરાજા કહે છે…..
ક્યારે થશે મિલાપ આપણો,
કયારે થશે મિલાપ રે,
વચન દઇને સિધાવજો,
જીવરાજા રે એમ કાયારાણી કહે છે…..
હતી ભાડુતી વેલ કાયારાણી,
હતી ભાડુતી વેલ રે,
લેણ દેણના સંબંધ છે,
કાયારાણી રે એમ જીવરાજા કહે છે……
નથી મુકામ આપણે દુર,
નથી મુકામ આપણે દુર રે,
મને આટલે પહોંચાડી સિધાવજો,
જીવરાજા રે એમ કાયારાણી કહે છે…..
હવે છેલ્લા રામ રામ,
કાયારાણી હવે છેલ્લા રામ રામ રે,
જાવું ધણીનાં દરબારમાં,
કાયારાણી રે જીવરાજા કહે છે …..
“પુરૂષોત્તમ” ના સ્વામી શામળા,
ભક્ત તણા રખવાળ,
સાચા સગા છે સર્વના,
જીવરાજા રે એમ કાયારાણી કહે છે…..
SANTVANI BHAJAN ,SANTVANI DHAM
SAKHI – સંતવાણીની સાખીઓ-BHAJAN SAKHI