VACHAN VIVEKI JE NAR – GUJARATI BHAJAN LYRICS
વચન વિવેકી જે નરને નારી – સંતવાણી ભજન
રચનાઃ ભક્ત કવિયત્રી ગંગાસતી
વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ,
બ્રહ્માદિક લાગે તેને પાય,
યથારથ વચનની શાન જેણે જાણી,
કરવું પડે નહિ બીજું કાંઈ……. ટેક …..
વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ,
ગત રે ગંગાજી કહેવાય,
એકાંતે બેસી અલખને આરાધે,
પ્રભુજી પ્રસન્ન એને થાય….. વચન વિવેકી……
વચને સ્થાપન ને વચને ઉથાપન,
વચને મંડાય પ્રભુનો પાટ,
વચન ના પુરા ઇ તો નહિ રે અધૂરા,
લાવવો વચનનો ઠાઠ…… વચન વિવેકી…..
વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ,
વચન છે ભક્તિ કેરો અંગ,
ગંગાસતી એમ બોલ્યાં ને,
કરજો વચન વાળાનો સંગ…… વચન વિવેકી….